ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

સમાચાર

ગુરુવાર, ૩ એપ્રિલ, ૨૦૨૫

હિટ એન્ડ રનના એક ઓર કિસ્સામાં મુલુંડના કચ્છી હોટેલ માલિકનું મૃત્યુ

મુલુંડ વેસ્ટમાં  ભક્તિ માર્ગ પર સ્થિત બાલકૃષ્ણ અપાર્ટમેન્ટમાં રહેતા અને મુલુંડમાં રેકડી નામની હોટેલના 63 વર્ષના માલિક જિતેન્દ્ર સોનેતાનું થાણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર 23 માર્ચે થયેલા અકસ્માત બાદ મંગળવારે મોડી રાતે મૃત્યુ થયું હતું. આ મુદ્દે થાણેના રાબોડી પોલીસે ગઈ કાલે હિટ ઍન્ડ રન કેસની ફરિયાદ નોંધીને જિતેન્દ્રભાઈને અડફેટે લઈ નાસી જનાર કારની શોધખોળ શરૂ કરી છે. જિતેન્દ્રભાઈની ઓચિંતી વિદાય થતાં મુલુંડના કચ્છી લોહાણા સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
જિતેન્દ્રભાઈના દીકરા ધવલ સોનેતાએ જણાવ્યું હતું કે ‘23 માર્ચે સાંજે 7 વાગ્યે પપ્પા તેમના મિત્રની નાશિક-થાણે હાઇવે પર આવેલી હોટેલમાં મળવા ગયા હતા. મિત્રને મળ્યા બાદ રાતે સવાનવ વાગ્યે તેઓ ઍક્ટિવા પર ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે હાઇવે પર કેડબરી બ્રિજ નજીક પાછળથી પૂરપાટ દોડતી કારે ટક્કર મારી હતી જેમાં પપ્પાનો સ્કૂટર પરથી ક્ધટ્રોલ જતાં તેઓ રોડ પર પટકાયા હતા. તેમને માથામાંથી લોહી વહેતું જોઈને લોકોએ તેમને તરત ન્યુરો ટ્રોમા હોસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. એ પછી ઘટનાની જાણ થતાં હું તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોક્ટરે મને કહ્યું કે તેમના માથામાં ગંભીર ઈજા થઈ છે એટલે હું પપ્પાને જ્યુપિટર હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાં પપ્પાના માથામાં ઑપરેશન થયું હતું, પરંતુ સારવાર દરમ્યાન 25 માર્ચે મોડી રાતે પપ્પાનું મૃત્યુ થયું હતું. પપ્પાના અકસ્માતના ખબર જાણ્યા પછી અમે તૂટી ગયા છીએ. આ અકસ્માત પાછળ જે કોઈ જવાબદાર હોય તેની સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે પપ્પાને હોસ્પિટલ ન લઈ જતાં કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. જો પપ્પાને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી જાત તો આજે પપ્પા અમારી 
વચ્ચે હોત.