
સમાચાર
ગુરુવાર, ૨૪ એપ્રિલ, ૨૦૨૫
શિક્ષિકા અને વિદ્યાર્થિનીઓની છેડતી કરતા મુલુંડની બીએમસીની સ્કૂલના છેલબટાઉ શિક્ષકને મનસેએ પાઠ ભણાવ્યો
સેવારામ લાલવાણી રોડ પરની બીએમસીની વિજયનગર પબ્લિક સ્કૂલની શિક્ષિકા અને વિદ્યાર્થિનીઓને મોડી રાતે ફોન કરીને તેમની છેડતી કરનાર શિક્ષક દીપક સરોદેને ગુરૂવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના કાર્યકરોએ સ્કૂલમાં જઈને મેથીપાક ચખાડયો હતો એટલું જ નહીં તેના ચહેરા પર કાળી શાહી ચોપડી હતી. આની જાણ મુલુંડ પોલીસ સ્ટેશનને કરવામાં આવતાં પોલીસે તાત્કાલિક સ્કૂલના શિક્ષકને કસ્ટડીમાં લઈને તેની સામે ફરિયાદ નોંધી હતી. આ ઘટના બાદ એમએનએસના કાર્યકરોએ બદલાપુર જેવી ઘટનાની રાહ જોતા હતા એવો સવાલ કરીને સ્કૂલના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. બદલાપુરની સ્કૂલમાં બનેલી ઘટના બાદ મુલુંડમાં આવી ઘટના બનતાં ફરી એકવાર વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે એમ જણાવતાં મુલુંડ વિભાગના એમએનએસના પ્રમુખ રાજેશ ચૌહાણે કહ્યું હતું કે વિજયનગર સ્કૂલમાં અભ્યાસ કરતી બે-ત્રણ વિદ્યાર્થિનીઓને એ સ્કૂલનો એક શિક્ષક રાતે 12 વાગ્યા પછી ફોન કરીને છેડછાડ કરતો હોવાની ફરિયાદ અમને મળી હતી એટલું જ નહીં એ શિક્ષકે સ્કૂલમાં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીઓના નંબર પણ માગ્યા હતા. આવી ગંભીર ઘટનાની જાણ થતાં અમારા પદાધિકારીઓ સ્કૂલમાં જઈને એમએનએસ સ્ટાઈલથી મેથીપાક આપી આરોપી શિક્ષકને સ્થાનિક પોલીસના તાબામાં સોંપ્યો હતો. આ મામલે અમે આરોપી શિક્ષકની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે એમ જણાવતાં મુલુંડ પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર અજય જોશીએ કહ્યું હતું કે હાલમાં અમે બે વિદ્યાર્થિનીઓના સ્ટેટમેન્ટ નોંધ્યા છે જેમણે શિક્ષક છેડતી કરતો હોવાનો આરોપ ફરિયાદમાં કર્યો છે. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. અન્ય કોઈ વિદ્યાર્થિની આ શિક્ષકનો ભોગ બની છે કે નહીં એની પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ.